અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડની સ્કીમમાં ગેરકાયદેસર બાંધકામ અત્યાર સુધી બહુ સામાન્ય બાબત ગણાતું હતું, એમાંય અનેક ફ્લેટોમાં હેતુફેર કરીને કરીને લોકોએ શો રૂમોથી માંડીને હોસ્પિટલો તેમ જ રેસ્ટોરન્ટ વગેરે તાણી દીધું છે. ગત મંગળવારે ગુજરાત હાઉસીંગ બોર્ડે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોનીમાં ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો અને એક સાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા.જેના કારણે જ ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 23 ડિસેમ્બરના રોજ સવારે 10-30 વાગ્યે ગુજરાત હાઉસીંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપક એમ.એમ. રોહિતની ટીમ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શહેરના આંબાવાડી સ્થિત એચ એન્ડ એલ કોલોનીમાં દરોડા પાડયાં હતા.એકસાથે 19 રહેણાંકમાંથી કોમર્શીયલ બનેલી મિલકતોને સીલ મારી દીધાં હતા.હજુ 11 મિલકતો સામેની કાર્યવાહી હવે પછી કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થવા પામી છે. ફીઝીયોથેરાપી સહિત પી.જી. તેમ જ શૂઝ વેરહાઉસ ઉપરાંત ફાસ્ટ ફૂડ તેમ જ પાન પાર્લર વગેરનો સમાવેશ થાય છે. સવારથી 10-30 વાગ્યાથી રાત્રિના 8-30 વાગ્યા સુધી કામગીરી ચાલી હતી. આ કામગીરી દરમિયાન કેટલાંકે ઇમ્પેક્ટ ફી ભરી દીધી હોવાના અથવા તો હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાથી કામગીરી કરી શકયા ન હતા.
આ કોલોનીઓમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળના ફલેટમાં કોઇએ આખો બીજો ફલોર ઊભો કરી દીધો હતો. ત્યાં સુધી એક વ્યક્તિએ તો આજુબાજુના બ્લોકમાં અવરજવર કરવા માટે વચ્ચે બ્રીજ બનાવી દીધો હતો. આ ઉપરાંત આ કોલોનીમાં બે રૂમ રસોડાં વાળા ફલેટમાં પેઇંગ ગેસ્ટ (પી.જી.) ઊભાં કરવામાં આવ્યા હોવાના જોવા મળ્યાં હતાં. જેમાં એક ફલેટમાં તો 90 જણાં તો બીજામાં 50ની સંખ્યા રહેતી હોવાનું જોવા મળ્યું હતું. તો એક ફલેટની દિવાલો તોડી નાંખીને સ્ટીલની ગર્ડર ફીટ કરીને મ્યુઝીક એકેડેમી ઊભી કરી દેવામાં આવી હતી. જો કે તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાનું હાઉસિંગ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કેમ કરવામાં આવી કાર્યવાહી ?
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલ એચ એન્ડ એલ કોલોની રહીશોના એસોસીએશન દ્રારા ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને વિવિધ વિભાગોને સમક્ષ કરી હતી. જો કે આ અંગે ગુજરાત માનવ અધિકાર આયોગે સુઓમોટો દાખલ કરીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના પગલે ગુજરાત હાઉસીંગ બોર્ડે 30થી વધુ લોકોને 25 જુલાઇના રોજ નોટિસ આપી હતી. ત્યારબાદ ફરીવાર 8 નવેમ્બર, 2025ના રોજ નોટીસ આપીને સાત દિવસમાં રહેણાંકનો કોમર્શીયલ ઉપયોગ બંધ કરવા માટે સૂચના આપી હતી. નહીં તો મકાનોને સીલ મારવામાં આવશે તેવી ચીમકી આપી હતી.
સીલ મરાયેલાં 19 ફલેટોમાં શું ચાલતું હતું
આકાશ પેથોલોજી
જોલી પી.જી.
નવકાર પી.જી.
એસ.પી. ટ્રેડર્સ
વેરહાઉસ શૂઝ
કભી ભી કેક શોપ
ધ પીંક વીન્ડો
ડિલાઇટ ફૂડ
દત્ત રિફ્રેશમેન્ટ એન્ડ પાન પાર્લર
રેઝ મેટ્રિક ડોટ કોમ
એલોબ હોમ કેર એન્ડ ફીઝીયોથેરાપી
પી.જી.
ડીટીબીસી કુરિયર
મહાવીર જૈન ગૃહ ઉદ્યોગ
ડિમ્પલ એન્ટરપ્રાઇઝ
ગ્લીમીક્સ ગેરેજ અને રુદ્રાશ
ભોલે પાન પાર્લર
સર્વા હિતા આર્યુવેદિક
પી.જી.


