અમદાવાદ : સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલના બ્રિજની સમાંતર બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના નિર્માણ માટે નિર્ણય કરવામાં આવ્યો છે.અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ, આ બ્રિજ આઇકોનિક ઊભો થાય તેના માટે પ્રયાસ છે. બ્રિજના તમામ સુપર સ્ટ્રકચરને તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહી આવે માત્ર તેને મજબૂત કરવામાં આવશે. જોકે આ રીસ્ટોરેશનની એટલે કે બ્રિજ તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂરી કરવામાં આવશે. બ્રિજ માટે નવા 7 પિલ્લર ઊભા કરવામાં આવશે. આમ બ્રિજ 9 મહિના બંધ રહેશે. પછી વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેશે અને આજુબાજુમાં પછી બે લેન બનશે.આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.
સુભાષ બ્રિજ રાણીપ અને શાહિબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જો કે, તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતાં, સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત IIT રૂડકી અને SVNIT સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને, માત્ર રીસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે.


