અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ સભા અને સભ્યોના પ્રચંડ પ્રતિસાદ બાદ, સોસાયટીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની 2016ની રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ જરૂરી લાયકાત હાંસલ કરી લીધી છે અને તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જમા કરાવી રિડેવલપમેન્ટની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આકાશગંગા એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, કુલ 384 સભ્યોમાંથી 13 ફેબ્રુઆરી 2026 સુધીમાં 335 સભ્યોએ રિડેવલપમેન્ટ માટે લેખિત સંમતિ આપી દીધી છે. જે કુલ સભ્ય સંખ્યાના 87.24% જેટલી થાય છે. જ્યારે બાકીના સભ્યો પણ સૈદ્ધાંતિક રીતે સહમત છે, પરંતુ વારસાઈ કે વેચાણ ટ્રાન્સફરની પ્રક્રિયા બાકી હોવાથી તેમની સહીઓ પેન્ડિંગ છે. નોંધનીય છે કે, 15 ડિસેમ્બર 1988ના પત્ર અનુસાર અહીંના 15 ફ્લેટ દૂરદર્શનને ફાળવવામાં આવ્યા હતા. જાે તેમની ગણતરી પણ સામેલ કરવામાં આવે તો સંમતિનો આંકડો 91.15% સુધી પહોંચે છે. વિદેશમાં વસતા સભ્યોએ પણ નોટરાઈઝડ એફિડેવિટ દ્વારા પોતાની સંમતિ મોકલી આપી છે.આમ જાેવા જઈએ તો કુલ 87.24% સંમતિ આગામી સમયમાં 100% સુધી પહોંચી નવી ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરશે તેવી આશા સોસાયટીના રહીશો સેવી રહ્યા છે.
સોસાયટીના એક અગ્રણીના જણાવ્યા મુજબ, ચેરમેન સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં તમામ રહીશો એકમત ધરાવે છે, તમામ રહીશો એસોસિયેશન સાથે છે, રિડેવલપમેન્ટની તમામ પ્રક્રિયા પારદર્શક રીતે શરૂ કરવામાં આવી છે, જે જાળવી રાખવામાં આવશે તો વિના વિધ્ને સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડશે.
તમને જણાવી દઈએ કે નારણપુરામાં આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટની વિશેષતા એ છે કે તેની સ્થાપના (01.04.1988) થી લઈને આજ સુધી તેનો ઉપયોગ માત્ર રહેણાંક હેતુ માટે જ કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી 2026ની જનરલ સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે, રિડેવલપમેન્ટ બાદ પણ અહીં કોઈપણ પ્રકારની કોમર્શિયલ કે ધંધાકીય પ્રવૃત્તિને પરવાનગી આપવામાં આવશે નહીં, જેથી સોસાયટીનું શાંતિપૂર્ણ અને કૌટુંબિક વાતાવરણ જળવાઈ રહે.
આ ઉપરાંત સોસાયટીના સભ્યોએ પર્યાવરણ પ્રત્યે પણ પોતાની જાગૃતિ દર્શાવી છે. 1988-90 દરમિયાન અહીં વાવવામાં આવેલા 200થી વધુ વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે, જેના કારણે સોસાયટી અત્યંત રળિયામણી લાગે છે. રિડેવલપમેન્ટ પ્રક્રિયા દરમિયાન આ પર્યાવરણીય વારસાને નુકસાન ન પહોંચે અને વૃક્ષો જળવાઈ રહે, તેવી ખાસ ભલામણ સત્તાધીશોને કરવામાં આવી છે.
આ ઉપરાંત એસોસિએશને સત્તાધીશોને વિનંતી કરી છે કે ભૂતકાળમાં HP Cost અંગે થયેલા પત્રવ્યવહારને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં રહીશોને મહત્તમ વળતર અને લાભ મળે તે દિશામાં ર્નિણય લેવામાં આવે. આમ, દાયકાઓ જૂની આ સોસાયટી હવે નવા રંગ-રૂપ સાથે આધુનિકતા તરફ ડગ માંડવા રિડેવલપમેન્ટ માટે સજ્જ છે.


