અમદાવાદ : અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યા છે. જેમાં રોજ 200થી વધુ લોકો શ્વાનનો શિકાર બને છે. વાહન પાછળ શ્વાન પડતા અકસ્માતના કેસ પણ વધ્યા છે.તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. રોજના સરેરાશ આંકડાઓ એટલા ભયજનક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જે શહેરની સુરક્ષા વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શ્વાન કરડવાના કેસોમાં એક વર્ષમાં 30 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. શહેરમાં દરરોજ સરેરાશ 211 જેટલા શ્વાન કરડવાના કેસો હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે તંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ અને જમીની હકીકત વચ્ચે મોટું અંતર છે. નાના બાળકો અને વૃદ્ધો આ આતંકનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શ્વાન નસબંધી અને રસીકરણ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જોકે, આટલા મોટા ખર્ચ છતાં શ્વાનોની વસ્તી પર અંકુશ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ જો કેસોમાં 30 ટકાનો વધારો થતો હોય, તો આ ભંડોળનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે તે તપાસનો વિષય છે.
રખડતા શ્વાનના હુમલાની બાબતમાં ગુજરાત રાજ્યની સ્થિતિ પણ દેશભરમાં ચિંતાજનક છે. શ્વાન કરડવાના સૌથી વધુ કેસો ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આ આંકડાઓ વધવા તે રાજ્યના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર છે. નાગરિકો હવે આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ ઈચ્છી રહ્યા છે.
તબીબોનું કહેવું છે કે, મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં ગલુડિયાઓના જન્મની સિઝન હોય છે, માદા શ્વાન પોતાના બચ્ચાં માટે વધુ સજાગ હોય છે એટલે એ અરસામાં કૂતરા કરડવાના વધુ કેસ આવતાં હોય છે. કૂતરુ કરડે એ સ્થિતિમાં રેબિસ વેક્સિન લેવી જરૂરી બની જાય છે. રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો આંતક હજુ એવો જ છે, વહેલી સવારે અને રાતે કૂતરા વાહન પાછળ દોડતાં હોય છે, જેના કારણે વાહન અકસ્માતના કેસ બનતાં હોય છે.


