અમદાવાદ : ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નવી દિલ્હી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના (PM SVANidhi) હેઠળ શેરી-ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા માટે યોજાઈ રહેલા “લોક કલ્યાણ મેળા”ને અમદાવાદમાં નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જૂન-2026 દરમિયાન દર અઠવાડિયાના પ્રથમ સોમવાર અને મંગળવારના રોજ યોજાનાર આ વિશેષ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 10 લોક કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ આયોજનના ભાગરૂપે 15 જૂન, 2026ના રોજ સ્વ.શ્રી જોઇતારામ પટેલ યુથ કોમ્યુનિટી હોલ ખાતે પાંચમા લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય હેતુ શેરી-ફેરીયાઓને PM SVANidhi યોજના હેઠળ નવી લોન માટે અરજી પ્રક્રિયામાં સહાય પૂરી પાડવાનો, બેંકોમાં મોકલાયેલી અરજીઓને મંજૂરી અપાવવાનો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ઓનબોર્ડ કરવાનો તેમજ સરકારશ્રીની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પહોંચાડવાનો રહ્યો હતો.
આ પ્રસંગે મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ,શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી અંજુબેન શાહ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રા સહિત અન્ય પદાધિકારીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, યુ.સી.ડી. વિભાગના ડાયરેક્ટરશ્રી, પ્રોજેક્ટ ઓફિસરશ્રીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બેંક, શ્રમ અને રોજગાર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં લાભ મેળવવા ઇચ્છુક અને લાભ મેળવનાર 300થી વધુ શહેરી ફેરીયાઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન PM SVANidhi યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી-ફેરીયાઓની નવી લોન અરજીઓનું બેંકોમાં રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. મેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને સરકારશ્રીની અન્ય વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો અંગે માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ લોક કલ્યાણ મેળાઓ શેરી-ફેરીયાઓને સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા, ડિજિટલ વ્યવહારો તરફ પ્રોત્સાહિત કરવા તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા છે. PM SVANidhi યોજના હેઠળ યોજાતા આવા કાર્યક્રમો દ્વારા શહેરના હજારો નાના વેપારીઓ અને શેરી-ફેરીયાઓના આર્થિક સશક્તિકરણને નવી દિશા મળી રહી છે.


