અમદાવાદ : ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વર્ષે પોલીસે સુરક્ષા કવચમાં આધુનિક ટેકનોલૉજીનો સમન્વય કર્યો છે. આ અંતર્ગત રથયાત્રાના સમગ્ર રૂટ પર 100થી વધુ ઈલેક્ટ્રિક વાહનો (EV બાઇક) દ્વારા પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસની હાજરી વધુ અસરકારક બને તે માટે આ વર્ષે પરંપરાગત પેટ્રોલિંગની સાથે ‘ગ્રીન અને સ્માર્ટ’ પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વાહનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈપણ ખૂણે કોઈ પણ ગતિવિધિ પર નજર રાખી શકાય.આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેસીપી (સેક્ટર-1) નીરજ બડગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડીસીપી સ્તરના અધિકારીઓએ રૂટ પર ખુદ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
રથયાત્રાનો રૂટ લાંબો હોવાથી જે વિસ્તારો સંવેદનશીલ ગણાય છે ત્યાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.કોઈ પણ અસામાજિક તત્વો કે અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસનો કાફલો સતત તહેનાત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ્સને રથયાત્રાના રૂટ પર તહેનાત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
આયોજનબદ્ધ રીતે પોલીસની વિવિધ ટુકડીઓ સુરક્ષામાં તૈનાત રહેશે જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય.પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રથયાત્રામાં સામેલ થનારા લાખો શ્રદ્ધાળુઓ અને નાગરિકો માટે એક નિર્ભય અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો છે.


