અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ ‘લોકદરબાર’ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ લોકદરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ-રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે જ, સાબરમતી વિસ્તારમાં થઈ રહેલા પ્રગતિશીલ વિકાસ કાર્યોને મુક્તકંઠે વખાણીને અનેક સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાણીપ, નવા રાણીપ, ડી-કેબિન અને સાબરમતીના નાગરિકો અને આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું કે, આજે જ્યારે હું અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છું, ત્યારે મને 1997થી અત્યાર સુધીના મારા 30 વર્ષના સફરની યાદ તાજી થાય છે. રાણીપ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભા અને લોકસભા સુધી પહોંચવા સુધીની આ યાત્રામાં આપ સૌએ જે પ્રેમ, સ્નેહ અને સહયોગ આપ્યો છે, તે બદલ હું આપ સૌને વંદન અને પ્રણામ કરું છું.
વધુમાં તેમણે કહ્યું કે, 30 વર્ષમાં મેં રાણીપને સતત વિકસતા જોયું છે. વિકાસ એ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે, અને કેટલીક વખત વિસંગતતાઓ વચ્ચે પણ આપણે વિકાસના કામોને ગતિ આપી છે. આગામી સમયમાં રાણીપ પશ્ચિમ વિસ્તારના મુખ્ય આકર્ષણના કેન્દ્ર તરીકે વિકસિત થશે તેવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મતવિસ્તારની વિકાસની અવિરત યાત્રા વિશે વાત કરી જણાવ્યું કે, મેં જ્યારે લોકસભામાં ચૂંટાયા બાદ સંકલ્પ કર્યો હતો કે, ગાંધીનગર મતવિસ્તાર દેશનો સૌથી વિકસિત મતવિસ્તાર બનશે, ત્યારે તે દિશામાં આપણે મક્કમ ડગલે આગળ વધી રહ્યા છીએ. વિકાસ કાર્યોને લઈને તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું કે, મતવિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરાઈ રહ્યા છે. વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મારા સૂચવેલા અનેક વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર મતવિસ્તારમાં કોમ્યુનિટી હોલ, પાર્ક, બગીચા, તળાવ, આઇકોનિક રોડ, પુસ્તકાલય અને જીમ જેવા અનેક વિકાસના પ્રોજેક્ટ્સ બન્યા છે.
શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મતવિસ્તારમાં યોજનાકીય લાભોના વિતરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફેરિયાઓના સન્માન અને તેમના વેપારને વેગ આપવા માટે લોન સહાય પૂરી પાડવામાં આવે છે. ગાંધીનગર મતવિસ્તારમાં 8970 લારીવાળાઓને લોન મળી છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, યુવાનોમાં પુસ્તકાલય સંસ્કૃતિનો વ્યાપ વધ્યો છે. 161 ગામોમાં લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે અને આગામી ઓગસ્ટ માસમાં વધુ 100 લાઇબ્રેરીઓનું લોકાર્પણ થશે. આ ઉપરાંત કુલ 3.50 લાખ પુસ્તકો ગામડાઓમાં પહોંચાડ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે ભાજપના કાર્યકરો દ્વારા કરાતા સેવાકીય કાર્યોને બિરદાવતા કહ્યું કે, સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન કાર્યકરો પીરસી રહ્યા છે. આ ઉપરાંત, આંગણવાડીના બાળકો માટે ‘રમકડા બેન્ક’ હેઠળ 28,000 રમકડા એકત્ર કરીને બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મતવિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% નો વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે.
જળ અને ઉર્જા સંરક્ષણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, સૌથી વધુ પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલ્સનું ઇન્સ્ટોલેશન આપણા મતવિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે માહિતી આપતા જણાવ્યું કે, મતવિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્માન કાર્ડની સુવિધા મળી ચૂકી છે.વધતી જતી ગરમી અને પ્રદૂષણ વિશે વાત કરતા શ્રી અમિતભાઈ શાહે અપીલ કરતા જણાવ્યું કે, પરિવારના રક્ષણ માટે વૃક્ષારોપણ, સોલાર અને ભૂગર્ભ જળના કાર્ય પર સૌ સાથે મળીને ધ્યાન આપે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત સૌ નાગરિકોને અમદાવાદ સ્થિત પોતાના કાર્યાલયનું સરનામું આપી જણાવ્યું જે, મારું હંમેશા આપની સેવા માટે કાર્યરત છે. આપના સૂચનો કે રજૂઆત પત્ર દ્વારા પણ મારા સુધી પહોંચાડી શકો છો, હું વ્યક્તિગત રીતે તે વાંચું છું તેવું તેમણે કહ્યું હતું. તેમણે સૌને અપીલ કરતા કહ્યું કે, દરેક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી વૃક્ષારોપણ, સોલાર અને ભૂગર્ભ જળ બચાવવાના અભિયાનમાં જોડાય અને સૌ સાથે મળીને ગાંધીનગર લોકસભાને એક ‘ગ્રીન લોકસભા’ અને શ્રેષ્ઠ મતવિસ્તાર બનાવીએ.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખૂબ જ વિશેષ છે. આપણને શ્રી અમિતભાઈ શાહના રૂપમાં એક ઉત્તમ લોકપ્રતિનિધિ મળ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે. વધુમાં તેમણે કહ્યું કે, શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અનેક ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈને જન-જનની સુખાકારી માટે અવિરત કાર્યો કર્યા છે. તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં થતા વિકાસ કાર્યો અંગે હરહંમેશ સક્રિય રહીને તેની સતત સમીક્ષા કરતા રહે છે તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે પ્રાસંગિક સંબોધન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, સોસાયટીના હોદ્દેદારો અને નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણે સૌ ગૌરવશાળી છીએ કે આપણને શ્રી અમિતભાઈ શાહ જેવા કર્મઠ નેતા મળ્યા છે. તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસના અનેક અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ લોકસભા મતવિસ્તાર દેશભરમાં શ્રેષ્ઠ, સ્વસ્થ અને સમૃદ્ધ બને તેવી નેમ સાથે શ્રી અમિતભાઈ શાહ સતત કાર્યરત છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કલેક્ટર શરૂ ભવ્ય વર્મા, ડીઆરએમ અમદાવાદ શ્રી વેદ પ્રકાશ, મ્યુનિસિપલ કોર્પોરેશન ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, અધિકારીઓ, પદાધિકારીઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


