અમદાવાદ : શહેરમાં રોજબરોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના વ્યાસવાડી ચાર રસ્તા પાસે સામે આવી છે. જેમાં હવામાં ફંગોળાયેલા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે બાઈક પર સવાર અન્ય બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રિપોર્ટ મુજબ, બાઈક પર સવાર ત્રણેય યુવાનો અખબારનગરથી સુભાષબ્રિજ તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીમજીપુરા તરફથી આવી રહેલી કારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ઉછળીને રોડ પર પટકાયા હતા. મધરાતે બનેલી આ ઘટના બાદ રસ્તા પર કણસતા યુવાનોને જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
આ અકસ્માતમાં એવો વળાંક આવ્યો છે કે, અકસ્માત સમયે કારચાલક નરેન્દ્ર વાઘેલા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે, લાયસન્સ વિના મિત્રની કાર ચલાવી રહેલા કારચાલક નરેન્દ્રએ જ બાઈકચાલક વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.
કારચાલક ફરિયાદીએ દાવો કર્યો છે કે બાઈકચાલક ગફલતભરી રીતે બાઈક ચલાવીને તેમની કાર સાથે અથડાયો હતો અને તે દારૂના નશામાં હોવાની પણ આશંકા છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી રહી છે.


