અમદાવાદ : દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 12 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારી આ તિરંગા યાત્રામાં અમદાવાદ શહેરના નગરજનોને મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રભાવનાના આ પર્વને ભવ્ય બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
તિરંગા યાત્રાને સંદર્ભે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે શહેરના નગરજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, અમદાવાદમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં સૌ નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બની રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે. આ યાત્રાને સફળ બનાવવા નગરજનોનો સાથ અને સહકાર મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે સૌને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈ દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવવા વિનંતી કરી છે.
તિરંગા યાત્રાનો પ્રારંભ સાંજે 5:00 વાગ્યે બિગ બજાર, રાયપુર દરવાજા પાસેથી કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા રાયપુર દરવાજા તરફથી આગળ વધી ખાડિયા દરવાજા વિસ્તારમાં આવેલી અંબિકા ફટાકડાની દુકાન પાસેથી પસાર થઈ, ખાડિયા દરવાજા થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે. આ સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના માહોલ સાથે મોટી સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.


