અમદાવાદ : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)એ મહત્વપૂર્ણ ચુકાદો આપતા વટવા સ્થિત ‘સ્વામિનારાયણ પાર્ક-2’ પ્રોજેક્ટના ડેવલપર ધર્માદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ઘર ખરીદનારને ચૂકવેલી રકમ 11 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. બિલ્ડર નિર્ધારિત સમયમર્યાદામાં ફ્લેટનું બાંધકામ પૂર્ણ કરી કબજો સોંપવામાં નિષ્ફળ રહ્યો હતો.
મિડિયા રિપોર્ટ મુજબ, ફરિયાદી કલ્પેશ મહેતાએ 11 ફેબ્રુઆરી, 2020ના રોજ થયેલા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (સેલ ડીડ) હેઠળ ફ્લેટ ખરીદવા માટે રૂ. 10.50 લાખ ચૂકવ્યા હતા. જોકે, નક્કી કરાયેલી સમયમર્યાદા વીતી ગયા બાદ પણ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થયું નહોતું અને ખરીદદારને ફ્લેટનો કબજો સોંપવામાં આવ્યો નહોતો.
GujRERAના સભ્ય એમ.એ. ગાંધીની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં ઓથોરિટીએ બિલ્ડરને ફ્લેટનો કબજો આપવામાં થયેલા વિલંબ માટે જવાબદાર ઠેરવ્યો હતો. આદેશ મુજબ, બિલ્ડરે ફરિયાદી પાસેથી મેળવેલી રૂ. 10.50 લાખની રકમ પર 9 ઓગસ્ટ, 2019થી 11 ટકા વાર્ષિક વ્યાજ સાથે કુલ રકમ 45 દિવસની અંદર પરત કરવાની રહેશે.
ઓથોરિટીએ પોતાના આદેશમાં વધુમાં સ્પષ્ટ કર્યું છે કે રકમ પરત કર્યા બાદ ફ્લેટ અંગેનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ પણ બિલ્ડરે પોતાના ખર્ચે રદ કરાવવાનો રહેશે.
આ મામલા વચ્ચે ધર્માદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રમોટર અને ‘પતંગ હોટેલ’ના માલિક ઉમંગ ઠક્કર સામે અગાઉ નોંધાયેલા છેતરપિંડીના કેસને લઈને પણ ચર્ચા થઈ છે. તાજેતરમાં 28 જુલાઈના રોજ સુરત ગ્રામ્ય પોલીસે રૂ. 1.56 કરોડના જમીન કૌભાંડ અને છેતરપિંડીના કેસમાં તેમની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ખોલવડ ગામમાં પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મામલામાં ઠક્કર અને તેમના સહયોગીઓ સામે ખરીદદારો સાથે છેતરપિંડી કર્યાના આક્ષેપો થયા હતા.
GujRERAનો તાજો આદેશ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં સમયસર કબજો ન મળતા ઘર ખરીદનારના હિતોના રક્ષણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.


