અમદાવાદ : અમદાવાદ શહેરના રાયપુર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવીને ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા યોજાયેલી આ યાત્રામાં 1 લાખથી વધુ નગરજનો જોડાતા સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અદભુત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયપુર બિગ બજાર પાસેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ યાત્રામાં સમગ્ર અમદાવાદ શહેરમાંથી યુવાનો, મહિલાઓ, શિક્ષકો, રમતવીરો અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. રાયપુરથી શરૂ થયેલી આ યાત્રામાં જનમેદનીનો ઉત્સાહ જોતા સમગ્ર માર્ગ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો.
આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા પકડવામાં આવેલો 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ હતો. યાત્રાના સમગ્ર રૂટ પર રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના સ્થળોએ 11 જેટલા ભવ્ય સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા.
પોલીસ બેન્ડ, એસઆરપી, હોમગાર્ડ, સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને ફાયર વિભાગની પ્લાટુન યાત્રામાં શાન વધારી રહી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ જતન, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાના સંદેશ આપતા વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.


