અમદાવાદ : સરકારી આરોગ્ય સેવામાં 35 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ડૉ. હિતેન્દ્ર એમ. પરીખની નિવૃત્તિ નિમિત્તે તાજેતરમાં ભવ્ય નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. ડૉ. પરીખે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એમ્પ્લોયીઝ સ્ટેટ ઈન્સ્યુરન્સ સ્કીમમાં લાંબી અને જવાબદારીપૂર્ણ તબીબી સેવા આપ્યા બાદ 31 જુલાઈ, 2026ના રોજ ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર ક્લાસ-1 ઓફિસર તરીકે સરકારી સેવામાંથી નિવૃત્તિ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ડૉ. હિતેન્દ્ર એમ. પરીખના સન્માનમાં આયોજિત આ નિવૃત્તિ સમારોહમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.વિસત-ગાંધીનગર હાઈવે ખાતે યોજાયેલ નિવૃત્તિ સમારોહમાં તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રફુલ્લા એચ. પરીખ સહિત સ્ટાફગણ, મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી નિવૃત્તિ પછીનું જીવન સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ડૉ. પરીખની સરકારી તબીબી સેવાની શરૂઆત 1993માં થઈ હતી. 1993 થી 2002 દરમિયાન તેમણે કલોલ ખાતે આવેલ ESIS જનરલ હોસ્પિટલ ખાતે ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2002 થી 2022 દરમિયાન ગોમતીપુર ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હતી.આ ભૂમિકામાં તેમણે તબીબી સારવાર ઉપરાંત હોસ્પિટલની દર્દી સંભાળ અને ક્લિનિકલ કામગીરી સાથે સંકળાયેલી જવાબદારીઓ નિભાવી હતી.
આશરે 2022 થી 2026 દરમિયાન ડૉ. પરીખે ઈન્સ્યુરન્સ મેડિકલ ઓફિસર તરીકે ESIS, ગુજરાતમાં સેવા આપી હતી. તેમનું છેલ્લું પોસ્ટિંગ શાહીબાગ ખાતે આવેલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે એમ્પ્લોયીઝ સ્ટેટ ઈન્સ્યુરન્સ સ્કીમની કચેરીમાં હતું. અહીં તેમણે તબીબી સેવાઓ ઉપરાંત મેડિકલ સર્વિસના સુપરવિઝન, કો-ઓર્ડિનેશન અને વિભાગીય વ્યાવસાયિક તથા વહીવટી જવાબદારીઓ પણ સંભાળી હતી.
તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ESISના વીમિત કર્મચારીઓ અને તેમના આશ્રિતોને તબીબી સેવા, ક્લિનિકલ એસેસમેન્ટ, નિદાન, સારવાર અને દર્દી વ્યવસ્થાપન જેવી સેવાઓ પૂરી પાડવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
આમ, ત્રણ દાયકાથી વધુ લાંબી સરકારી તબીબી સેવાના અંતે યોજાયેલો આ સમારોહ ડૉ. પરીખની વ્યાવસાયિક સફરને સન્માનપૂર્વક વિદાય આપવાનો પરિવારના સ્નેહથી ભરેલો પ્રસંગ બની રહ્યો.


