અમદાવાદ : નવરાત્રીના પર્વને હવે થોડા જ દિવસો બાકી છે. અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે અમદાવાદમાં 50થી વધુ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે નવરાત્રીને (Navratri 2023) લઇને શહેર પોલીસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.જે બાદ જ ગરબા આયોજકોને પરમિશન આપવામાં આવશે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિંગ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે.
અમદાવાદમાં ગરબા આયોજકો માટે પોલીસ કમિશનરની 12 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે આયોજકોએ ફરજીયાત વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફરજીયાત ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિગની વ્યવસ્થા કરવી પડશે.પોલીસ કમિશનરના પરિપત્રના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. ગરબા આયોજકોને ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપી દેવામાં આવી છે.ગાઇડલાઇન મુજબ ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે.
શું છે 12 મુદ્દાની ગાઇડલાઇન ?
નવરાત્રિ આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત
ગરબા આયોજકોએ રજૂ કરવું પડશે આધારકાર્ડ
જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી
મહિલા-પુરૂષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યાની વિગત રાખવી
ફાયર સેફ્ટિનું અમદાવાદ કોર્પોરેશનનું પ્રમાણપત્ર જરુરી
સરકારી માન્યતા પ્રાપ્ત વાયરમેનનું સંમતિપત્રક હોવુ જોઇએ
ગરબા સ્થળે જનરેટરની વ્યવસ્થા અંગેની વિગતો હોવી ફરજીયાત
ક્યાં અને કેટલા CCTV લગાવાયા છે તેની વિગતો રાખવી
સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા જરુરી
ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક હોવુ જોઇએ
ખેલૈયાઓ માટે લીધેલી વીમા પોલિસીની વિગતો ફરજીયાત
ગરબા સ્થળે કરાયેલ પાર્કિગની વ્યવસ્થાની વિગતો રાખવી


