અમદાવાદ: નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે કહ્યું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.
મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે. નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે. હાઈકોર્ટે કહ્યું કે, નાગરિક ફરિયાદ કરશે તો 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ચાલી શકશે નહીં. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ કરાવી શકે છે.
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાજ્ય સરકારે એક ખુશખબર આપ્યા હતા. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને કારણ કે ગૃહ વિભાગ તરફથી મંગળવારે એવો આદેશ અપાયો હતો કે સમયની પાબંધી વિના લોકોને છૂટથી ગરબા રમવા દેવા. આ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.


