અમદાવાદ : અમદાવાદના શાહીબાગમાં આવેલ રાજસ્થાન હિન્દી સ્કૂલમાં એડ્મિશન મામલે હોબાળો મચ્યો છે. જેમાં ધો.8 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને પરિણામ સાથે LC આપી દેવામાં આવતા અને ધો.9 માં એડમિશન આપવાનો ઈન્કાર કરાતા વાલીઓ રોષે ભરાયા છે.આ અંગે અમદાવાદ શહેર DEOને જાણ થતાં DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં આવેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું નથી. હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિણામના દિવસે LC આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શરૂઆતથી હિન્દી માધ્યમમાં ભણ્યા છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ એડમિશન માટે પહોંચ્યા ત્યારે તેમને ઇંગ્લિશ માધ્યમમાં એડમિશન લેવા જણાવ્યું હતું. સ્કૂલ દ્વારા હિન્દી માધ્યમ બંધ કરવામાં આવતું હોવાથી વાલીઓને કોઈ નોટિસ આપ્યા વિના એડમિશન આપવામાં આવ્યું નથી.
વાલીઓએ શાહીબાગ સ્થિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓનું કહેવું છે કે સ્કૂલમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા સુચના અપાઈ છે.તે સિવાય વિદ્યાર્થીઓને હિન્દીને બદલે ઈગ્લિશ માધ્યમમાં એડમિશન લેવા જણાવાયું છે. જેને કારણે 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે.
ધો.8માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.9માં લેવાનો સ્કૂલે ઈન્કાર કર્યો હતો. જેને કારણે સ્કૂલ બંધ કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


