અમદાવાદ : અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાબરમતી રિવરફ્રન્ટ બન્યુ છે. જેમાં AMC માટે કમાઉ દીકરો સાબરમતી રિવરફ્રન્ટ સાબિત થયો છે. તેમાં રિવરફ્રન્ટનો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે ઓગસ્ટ-2022થી અત્યારસુધી AMCને રૂપિયા 15 કરોડથી વધુની કમાણી થઇ છે.જે પૈકી આજદિન સુધીમાં અટલબ્રિજની કુલ આવક રૂ. 10.51 કરોડથી વધુ થઈ છે અને કુલ 37.45 લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી.
AMC દ્વારા રિવરફ્રન્ટને વિઝિટર સ્પોટ બનાવવાની નેમ સાથે નવા નવાં આકર્ષણો ઉમેરવામાં આવે છે.70 કરોડના ખર્ચે બનેલો અટલબ્રિજ શહેરીજનો અને બહારગામથી આવારનાર મુલાકાતીઓ, સહેલાણીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. એપ્રિલ-23થી માર્ચ-24 સુધી 26 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટને ખાસ વિઝીટર જગ્યા બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ શહેરનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ, ફ્લાવર પાર્કમાં આવી રહ્યા છે. બ્રિજ નિર્માણ થયો ત્યારથી એટલે કે ઓગસ્ટ 2022થી અત્યાર સુધી 55 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત કરતા કોર્પોરેશનને રૂપિયા 15 કરોડ કરતાં વધુની આવક થઈ છે.
રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની મુલાકાતીઓની સંખ્યા 17,997 થઈ છે. જેનાથી કુલ આવક રૂ. 3.37 લાખ થઈ છે. જ્યારે અટલબ્રિજ અને ફ્લાવર પાર્ક કોમ્બો-બંન્નેની મુલાકાત લેવા બદલ સંયુક્ત આવક રૂ. 4.77 કરોડથી વધુ થઈ છે. તેમજ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની કોમ્બો મુલાકાત લેનારની સંખ્યા 1.29 લાખ થઇ છે. વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ બંને જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સારી એવી આવક અત્યારે ઊભી થઈ રહી છે.
મુલાકાતીઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21,62,262 લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26, 89,727 લોકોએ મુલાકાત લેતા અત્યાર સુધી કુલ 50,36,913 લોકોએ મુલાકાત લીધી છે. અને તેના કારણે રૂ.15,27,40760 ની આવક પ્રાપ્ત થઈ છે.


