અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એકનો ભોગ લીધો છે. મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં AMTSની બસે સાઈકલ લઈને જતી એક વિધાર્થીનીને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે AMTS ના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જઈ રહ્યી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટના અંગેની ટ્યુશન કલાસીસમાં જાણ થતા શિક્ષક સહિત અનેક સાથી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સાથે જ પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયા હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાથીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. AMTS બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના નાગરિકોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડતી એવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસ હવે અમદાવાદ મોત ટ્રાન્સપોર્ટ સર્વિસ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. AMTS બસના ડ્રાઇવરો દ્વારા દર બે દિવસે એક અકસ્માત કરવામાં આવે છે અને દર મહિને એક વ્યક્તિ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે.
અમદાવાદમાં AMTS અને BRTS બસ ચાલકો દ્વારા સતત અકસ્માતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચાલકો સુધારવાનું નામ લેતા નથી.હાલ તો તંત્ર દ્વારા ટ્રેનીંગ આપ્યા પછી ડ્રાઇવરોને કામ પર રાખી રહ્યા હોવાનું જણાવે છે પરંતુ AMTS બસથી અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. બસના ડ્રાઈવરો અને ટ્રેનિંગ આપવાની વાત હતી, પરંતુ માત્ર દેખાડા ખાતર ટ્રેનિંગ થતી હોય એવું સ્પષ્ટ જણાય છે.