અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલ આજે ચર્ચામાં છે, ઘણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે બેફામ રીતે કાર હંકારી અકસ્માત સર્જનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાં ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના અહેવાલ પ્રકાશિત થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.
મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.’ આ સાથે જ પોલીસે એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં લખેલું છે કે, આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.
આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #fakenews #factcheck @GujaratPolice pic.twitter.com/i0KPh9KAaz
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 26, 2024
નોંધનીય છે કે, મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પ્રમાણે, ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી ગયો હતો. જગુઆર કારના મૂળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેતા કાર કોઇ અજાણી વ્યક્તિ છોડાવી ગયું છે. જોકે, આ પ્રકારના અહેવાલો બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ખુલાસો કરતાં જણાવ્યું કે, કાર હાલ પોલીસ કબ્જામાં છે.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલે જે કાર દ્વારા અકસ્માત સર્જ્યો હતો તે જગુઆર કાર મૂળ ક્રીશ વારિયા નામના વ્યક્તિની છે. જ્યારે આગામી સમયમાં ચાર્જફ્રેમ થવાનો છે, તે પહેલા આવા અહેવાલો સામે આવતાં ખળભળાટ થયો હતો અને છેવટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.