અમદાવાદ : રાહુલ ગાંધી આજે 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર કરવામાં આવ્યો હતો. હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અને ગુજરાત આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસદમાં તમે જોયું હશે કે, વિચિત્ર વાત છે. ભાજપની જે અયોધ્યાની મૂવમેન્ટ હતી. તેની શરૂઆત અડવાણીએ કરી હતી. રથયાત્રા થઈ હતી અને તેમા તમે રથ પર અડવાણીને જોયા હતા. કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદીએ તેમની મદદ કરી હતી. તેમની શરૂઆત ત્યાં થઈ હતી. રથયાત્રા ચાલી અને હું પાર્લામેન્ટમાં વિચારી રહ્યો હતો કે, તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંબાણી અને અદાણી જોવા મળ્યા હતા પણ કોઈ ગરીબ જોવા મળ્યું નહોતું.
2 જુલાઈએ સંસદમાં હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ અહિંસાનો દેશ છે. તે ભયભીત નથી. આપણા મહાપુરુષે આ સંદેશ આપ્યો હતો કે ડરશો નહીં, ડરશો નહીં અને ત્રિશૂળને જમીનમાં દાટી દો. જ્યારે કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે PM મોદી, ભાજપ અને RSS આખો હિન્દુ સમાજ નથી. PM નરેન્દ્ર મોદીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ બહુ ગંભીર વિષય છે. “શું આ માત્ર એક સંયોગ છે કે પછી કોઈ પ્રયોગની તૈયારી છે?”
ત્યારે બીજી બાજુ અમદાવાદમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે VHP કાર્યાલય ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકજક પણ થઇ હતી. જે બાદ VHP કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.
રાહુલ ગાંધીના હિન્દુ ધર્મ અંગેના નિવેદન બાદ ગુજરાતમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તેથી રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.


