અમદાવાદ : અમદાવાદમાં આજે રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. શહેરની જીવાદોરી સમાન અઢી લાખ રિક્ષાનાં ચાલકો આજે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. રિક્ષાચાલકો સાથે શહેરનાં 80 હજાર ટેક્સી ડ્રાઇવરો પણ આંદોલનમાં જોડાશે. જણાવી દઈએ કે, સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવાની માગ સાથે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો હડતાળ પર ઉતરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે એટલે બુધવારે સવારે 6 વાગ્યાથી અઢી લાખ રિક્ષાચાલકો અને 80 હજાર જેટલાં ટેક્સી ડ્રાઇવરો મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. આ કારણે શહેરમાં ઓટોરિક્ષા અને ટેક્સી સર્વિસ બંધ રહેશે. આ આંદોલનનાં કારણે આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરો અને અન્ય શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો કે, રિક્ષાચાલકોની એક દિવસની પ્રતિક હડતાળમાં સ્કૂલ વર્દીની રિક્ષાઓને છૂટ આપવામાં આવી છે. ગાંધી ચિંધ્યા માર્ગે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો એક દિવસનું આંદોલન કરશે. જો સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાય તેવી શક્યતા છે.
ચાલકોના જણાવ્યા પ્રમાણે સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવા માંગ સાથે રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઇ હડતાલ કરવામાં આવી રહ્યા હોવા છતાં એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે આવતીકાલે પણ સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં નહીં આવે તો આ આંદોલને મોટુ રૂપ આપવામાં આવશે.


