અમદાવાદ : ગણેશોત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે POPની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું છે.જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈને તેમજ ફાયર સેફ્ટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહિ બનાવી શકાય જ્યારે POPથી બનેલી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટની જ હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવા જણાવાયું છે.
7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં ગયા વર્ષ 500થી 600 જગ્યાએ સાર્વત્રિક રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે પણ તેમાં મોટી વધઘટ નહીં હોવાનું આયોજકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે.
આયોજકો કેટલા દિવસ માટે સ્થાપન કરી રહ્યા છે, ક્યાં કરી રહ્યા છે, કેટલા લોકો દર્શન કરવા આવે તેવો અંદાજ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું વ્યવસ્થા કરી તેમજ વિસર્જનનો રૂટ અને કયા કુંડમાં વિસર્જન કરવાના છે તે તમામ માહિતી નોંધણી સમયે જ દર્શાવવી પડશે. ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
આ નિયમો દરેક આયોજકોએ પાળવા જ પડશે
-ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવી શકાશે નહીં, વેચી શકાશે નહીં અને સ્થાપના પણ કરી શકાશે નહીં.
-POPની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટ કરતાં વધારે રાખી શકાશે નહીં તેમ જ POPની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરી શકાશે નહીં.
-મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તેમ જ જ્યાં વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથો નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમ જ મૂર્તિ રોડ પર મૂકવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડવી નહીં.
-પાણીમાં સરળતાથી ઓગળે નહીં તેવા ઝેરી કેમિકલ કે કલરનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવો નહીં.
-કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્ન, નિશાનવાળી મૂર્તિ બનાવવી નહીં.


