અમદાવાદ : અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસકર્મી જિતેન્દ્ર રણજિતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલ હોવાની વિગત સામે આવી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.હજી સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી જિતેન્દ્ર વાજા બે દિવસ પહેલાં જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા. બે દિવસ પહેલાં જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપી હતી. પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ સામે આવ્યું નથી.આ બનાવ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી અને આ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે.પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.
ગત મોડીરાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરે વહેલી સવારે 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ હતો. પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.


