અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે. 18 ઓગસ્ટના તેમના એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમ્યાન તેઓ કુલ સાત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
અમદાવાદીઓને ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. ‘મિયાવાકી’ પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે.આ પાર્ક શહેરના લોકોને તાજી હવા અને આરામદાયક પર્યાવરણ પૂરૂં પાડશે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઓછું હશે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નાનકડું જંગલ મુલાકારીઓને કુદરતી વાતાવરણની અનુભૂતી તો કરાવશે. આ સાથે જ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને મોર્નિંગ વોક અને યોગા કરવા માટે અદભૂત માહોલ પૂરો પાડશે.શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ઉદઘાટનના અન્ય કાર્યક્રમમાં, અમિત શાહ મકરબા, વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ આ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ થવાનું છે. આ સાથે જ, મકરબા સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પૂલ અને વ્યાયામશાળાનું પણ ઉદઘાટન કરવામાં આવ્યુ છે. જે સ્થાનિક યુવાઓ અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવામાં મદદ કરશે.