અમદાવાદ : શહેરમાં હવે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓએ અને સિવિલિયન કર્મચારીઓએ ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેમની નીચેનો સ્ટાફ ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરે છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવાની રહેશે. આ સાથે પરિપત્રમાં કહેવાયું છે કે ટુ-વ્હીલર વાહન ચલાવી પોલીસ કમિશનરની કચેરીએ હેલ્મેટ પહેર્યા વગર આવનાર પોલીસ કર્મચારીને કમિશનર કચેરીમાં પ્રવેશ નહીં મળે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગેની સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોથી લઈને સુપરવાઇઝરી અધિકારીઓને આ સૂચનાનો અમલ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને જો આ સૂચનાનું પાલન ન થાય તો એમવી એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ દંડ કાર્યવાહી કરવાની રહેશે અને શિક્ષાત્મક પગલાં પણ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ કચેરી ખાતે ટુ-વ્હીલર ચલાવીને આવતાં સમયે ફરજિયાતપણે હેલ્મેટ પહેરે તે અંગેની ચકાસણી કચેરીના તમામ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર કરાવવાની રહેશે. ચકાસણી દરમિયાન જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવે તેઓને ઓફિસમાં પ્રવેશ આપવાનો રહેશે નહીં. તમામ પોલીસ સ્ટેશન અને કચેરીઓ ખાતે પણ આ જ રીતે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતોમાં માણસોના મૃત્યુ પણ નિપજે છે. NCRB દ્રારા પબ્લીશ થયેલ વર્ષ 2022ના રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ 1,71,100 વ્યકિતઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયા છે, જે પૈકી 77,876 એટલે કે 45.51% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયા છે.
ગુજરાતમાં 2022માં કુલ 7634 માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયા છે, જે પૈકી 3754એટલે કે 49.17% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. જેનુ મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે.