અમદાવાદ : શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકની સુચના મુજબ ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર લગામ કસવા પાસા- તડીપાર જેવી સખ્તાઈ દાખવી છે. અમદાવાદ શહેરના આવા 150થી વધુ કુખ્યાતોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે તો 33 જેટલા ગુનેગારોને રાજ્ય બહાર તડીપાર કરવામાં આવ્યા છે. માર્ચ 2025 સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓ દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા સારુ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાઓનો અસરકારક અને દાખલારુપ ઉપયોગ થાય તે અંગે શહેરના તમામ સુપરવાઈઝરી અધિકારીઓ તેમજ થાણા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલી જે સુચનાઓની અમલવારી કરાવવા અર્થે અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પી.સી.બી.) દ્વારા શહેરના થાણા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી આવી ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમોની પાસા-તડીપાર અંગેની દરખાસ્તો મંગાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલી અને પોલીસ કમિશનર સમક્ષ આ તમામ દરખાસ્તોને તેના ગુણદોષ આધારે સાદર કરવામાં આવેલી.
અસામાજીક તત્વો વિરુદ્ધની આ મુહિમના કારણે છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં શહેરના કુલ 150 અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે. જેમાં ભુજ જેલ ખાતે-40, રાજકોટ જેલ ખાતે-30, સુરત જેલ ખાતે-45 તેમજ વડોદરા જેલ ખાતે-35 ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે 33 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવાના હુકમો કરવામાં આવ્યા છે. વધુમાં, ચાલુવર્ષ 2025 માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે.