અમદાવાદ: તાજેતરમાં શહેરના મણિનગર વિસ્તારમાં મહાલક્ષ્મી કોર્નરમાંથી આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળવાની ઘટના શાંત થઈ નથી ત્યારે ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી છોલે ઓર્ડર કર્યા હતા. જેમાં છોલે ઓર્ડર કર્યા બાદ જ્યારે ગ્રાહકે ડબ્બો ખોલ્યો તો તેમાંથી ગરોળી નીકળી હતી. જ્યારે ગ્રાહકે આ વસ્તુ જોઈ ત્યારે તે પણ ચોંકી ગયો હતો. જે પણ લોકો બહારનું ખાવાના શોખીન છે તે લોકો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન કહી શકાય.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયામાંથી છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભૂટેરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નિકળતા તેઓ ડઘાઇ ગયા હતા.સમગ્ર મામલે ફરિયાદ કરતા સ્ટોર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. સ્ટોરે જણાવ્યું કે, અમે તમને બીજું મોકલી આપીએ છીએ. ક્યારેક ક્યારે રસ્તામાં અથવા તો બનાવવા દરમિયાન આવું બની જતું હોય છે.આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.
તમને જણાવી દઈએ કે શહેરમાં અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે. જેમાં તાજેતરમાં આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને એએમસી ફૂડ વિભાગ દ્વારા હેવમોરની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે જ કંપનીને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં એએમસી દ્વારા મણિનગરમાં આવેલ મહાલક્ષ્મી કોર્નરને પણ સીલ કરી દીધું હતું.
નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, તેમ છતાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે ? તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે.


