અમદાવાદ : નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારની અનેક હાઉસિંગની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે, જેમાં અનેક સોસાયટીઓમાં વિવિધ કારણોસર બે ચાર ટકા સભ્યો વિવિધ કારણોસર વિરોધ કરીને સોસાયટીના બાકીના નેવું થી પંચાણું ટકાથી વધુ સભ્યોને બાનમાં લેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે, જેને લઈને સોસાયટીઓમાં આંતરિક બોલાચાલી અને ઘર્ષણોના બનાવોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.તાજેતરમાં નારણપુરામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં કેેટલાક અસંમત સભ્યોએ વિરોધ કરતા સોસાયટીના બહુમત સભ્યો એકઠા થઈ વિરોધ કરનાર સભ્યોને મેથીપાક ચખાડયો હોવાની ચર્ચા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આવા બે-ત્રણ અસંમત સભ્યોએ પોતાની સોસાયટી બહારના નકારાત્મક લોકોને બોલાવી રીડેવલપમેન્ટ પ્રક્રિયાના મકાન ખાલી કરાવી કબજાે લેવાની ગુ.હા.બોર્ડની કલમ 60એ મુજબ ઈવીકશન કાર્યવાહી દરમ્યાન વાંધા વિરોધ કરેલ, બહારથી આવેલા કેટલાક લોકો દ્વારા સોસાયટી સભ્યોને મોબાઇલ કેમેરા રેકોર્ડિંગ કરી કેટલાક કાયદાકીય ભાષા કે શબ્દોના ઉપયોગ થકી બોર્ડના અધિકારીઓ તેમજ પોલીસને સરકારી કાર્ય કરવામાં રોડા નાખવાનો અને વિરોધ કરવાનો પ્રયોગ ભારે પડી ગયો.આ સોસાયટીના રીડેવલપમેન્ટ ઈચ્છતા બહુમત સભ્યો એકઠા થઈ ગયા અને બહારથી આવેલા નકારાત્મક લોકોને પોતાની સોસાયટીમાંથી નીકળી જવા જણાવ્યું, આ દરમ્યાન શાબ્દિક ઘર્ષણ થતા ધક્કા મુક્કી થઈ તે તકનો લાભ લઈ બહારથી આવેલા વ્યક્તિ દ્વારા સ્થાનિક સોસાયટીની બહેનોની ધક્કામુક્કી કરાતા છેવટે હાજર રહેલ અને રોડ પર આવતા જતા બહેનો અને ભાઈઓ દ્વારા તે વ્યક્તિને ધોલાઈ કરી મેથીપાક આપ્યા હોવાની ચર્ચાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
હાઉસિંગના આગેવાન સંદિપ ત્રિવેદીના મત મુજબ, આ એક સોસાયટીનો મામલો નથી, આવુ અનેક સોસાયટીમાં થઈ રહ્યું છે, બે ચાર ટકા અસંમત સભ્યો યેનકેન પ્રકારે વિરોધ કરીને અથવા કાયદાની બારીમાં છટકબારી શોધીને કોર્ટ કેસ કરતા હોય છે, અને સમગ્ર સોસાયટીના નેવું થી પંચાણું ટકા લોકોને બાનમાં લઈને સોસાયટીનું રીડેવપમેન્ટ અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી હવે બધાએ જાગી જવાની જરૂર છે, જાે કોઈ આ રીતે ખોટી રીતે વિરોધ કરે તો બાકીના તમામ સભ્યોએ એક થઈને રોડ પર આવવું પડશે, વિરોધ કરનારે સબક શિખવાડવો પડશે.
હાઉસિંગના આગેવાન વિશાલ કંથારીયાના જણાવ્યા મુજબ, એક વાતનો આનંદ છે કે બહુમત સભ્યો એ તેમજ આવતી જતી સમજુ પ્રજાએ પોતાની એકતા અને તાકાત બતાવી અને બહારથી આવેલા નકારાત્મક લોકોનો સામુહિક વિરોધ કર્યો અને યોગ્ય પાઠ ભણાવ્યો તે હિંમત અને કામ સરાહનીય છે. ભવિષ્યમાં આવી એકતા દરેક સોસાયટીના બહુમત સભ્યો બતાવે અને શામ ડેમ દંડ ભેદ બધી રીતે યોગ્ય પાઠ ભણાવે તો આ અસામાજિક તત્વો બીજી સોસાયટીમાં જતા સો વાર વિચારે…!