અમદાવાદ : ગત રાત્રે અમદાવાદ રિવરફ્રન્ટ પર અકસ્માત સર્જાયો હતો. રિવરફ્રન્ટ ઇસ્ટમાં ગઈકાલે રાતે અકસ્માતમાં 15 વર્ષના સગીર ક્રીશ ભીખાભાઈ પરમારનું મોત થયું હતું. મળતા અહેવાલ પ્રમાણે, અન્ય સગીર મયુર સોલંકી અને દીક્ષિત સોલંકી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના બીકથી ભાગતા સમય ઘટના બની હોવાનો આરોપ છે.
મળતા અહેવાલ પ્રમાણે, દિવાળીના તહેવાર હોવાથી અમદાવાદના બહેરામપુરામાં રહેતા દીક્ષિત પરમાર તેના પડોશી મયૂર સોલંકી અને ક્રિશ પરમાર નામના સગીર સાથે એક્સેસ ટુ વ્હીલર પર રિવરફ્રન્ટ ખાતે ફટાકડા ફોડવા ગયો હતો. રાત્રે 12 વાગ્યા બાદ ફટાકડા ફોડતા હોવાથી પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને ત્રણે જણા એક્સેસ ઉપર ત્યાંથી જઈ રહ્યા હતા. રિવરફ્રન્ટ પાર્ક સામે શીતલ એક્વા બિલ્ડીંગ પાસે મોપેડનું બેલેન્સ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે ઇજા પામતા ત્રણેય યુવકોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં મોપેડ ચાલક ક્રિશ ભીખાભાઇ પરમારનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે બંને ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર બનાવ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિવરફ્રન્ટ પાર્ક સામે વાહનનું સંતુલન ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અકસ્માતની ગંભીરતા દેખાય છે. ટ્રાફિક પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે, જેમાં અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે વધુ તપાસ આદરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્પીડમાં વાહન ચલાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.


