અમદાવાદ : શહેરના જુના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર નવા બનેલ સેક્ટર 3માં ચોંકાવનારી ઘટના બની છે. વાડજ વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મકવાણાનું પાંચમા માળથી નીચે પડતાં મોત થયું છે. આ કરુણ ઘટનામાં મૃતકના પરિવારજનોએ મોટો આક્ષેપ લગાવ્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મૃતકની પત્નીના ભાઈઓએ મળીને યુવાનને પાંચમા માળેથી નીચે ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. હત્યાના આક્ષેપ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભાઈબીજના દિવસે અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે આવેલા સેક્ટર-3માં ભાવેશભાઈ મકવાણા (ઉં.32) રહેતા હતા. ભાવેશભાઈ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન તેમનો તેમની પત્ની સાથે પણ બનાવ બન્યો હતો. 23 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે જ્યારે ભાવેશભાઈ તેમના ઘરે હાજર હતા ત્યારે તેમની પત્નીના ભાઈઓ આવ્યા હતા અને ઝઘડા બાબતે ભાવેશભાઈની સાથે મારામારી કરવા લાગ્યા હતા. બોલાચાલી અને મારામારી બાદ ભાવેશભાઈને પાંચમા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા, જેથી તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક ભાવેશભાઈના પિતા બળદેવભાઈએ જણાવ્યું હતું કે તેની પત્નીએ પગારમાંથી અમને એક રૂપિયો આપ્યો નથી અને કોને પૈસા આપે એ અમને ખબર નથી. ગઈકાલે ભાવેશનાં પત્નીનાં પરિવારજનો આવ્યાં હતાં. અમે તેમને બેસીને વાત કરવા માટે કહ્યું હતું, પરંતુ બોલાચાલી કરીને સીધો ભાવેશને ઉપરથી નીચે ફેંકી દીધો હતો.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ ભાવેશ અને તેની પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો.
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.ડાંગરે જણાવ્યું હતું કે વાડજ રામાપીરના ટેકરાના સેક્ટર-3માં પારિવારિક ઝઘડામાં યુવકને માર મારવામાં આવ્યો અને ઉપરથી નીચે ફેંકી દેવાનો આક્ષેપ કરાયો છે. હાલ યુવકની હત્યા મામલે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


