અમદાવાદ : દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ તરીકે ગણના થાય છે એવા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ પદયાત્રીઓ અને બાવન ગજની ઘજા સાથે આદ્યશક્તિને આરાધવા આગામી તા.28-8-22 ને રવિવારના રોજ સવારે 6-00 કલાકે વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. આ અગાઉ સંઘ દ્વારા આયોજીત ધજાપૂજન તા.27-8-22 ને શનિવારના રોજ સાંજે 5-00 કલાકે રાખેલ છે, તો દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે નમ્ર અપીલ છે.
જો આપ દ્વારા સંજોગાવસાત અંબાજી સુધી પદયાત્રા કરી શકતા ના હોય તો પણ સપરિવાર…આદ્યશક્તિનાં બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન થયેલા એવા રથને વિદાય આપવા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી,સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી, નીલ કોમ્પલેક્ષ સુધી પુરક પદયાત્રા કરવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
આ અગાઉ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2004 માં 600 સેવકો દ્વારા નવા વાડજ વિસ્તારની તમામ 25 શાળાના ધો.1 થી 4 ના 7500 બાળકો માટે બટુક ભોજનનું આયોજન કર્યુ હતું. તેમાં તમામ બાળકોને વોટરબેગ ભેટ આપવામાં આવેલ.ત્યારબાદ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2006 માં નવો રથ બનાવવાનું આયોજન કર્યુ હતું. નવા રથ માટે 4000 થી વધુ લોકો સહભાગી બની 3,05,000 રૂા.ની ભેટ આપી હતી.
વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2008 માં નવા વાડજ વિસ્તારના લોકોને સહભાગી બનાવવાના હેતુથી મોટી ધજા બનાવવાનું વ્યાસવાડી પગપાળા સંઘે આયોજન કરેલ, જે ધજાનો કુલ ખર્ચ રૂા.97,454/- થયેલ. જેમાં કુલ ખર્ચ પ્રમાણે એક વ્યક્તિ પાસેથી રૂા.5-00 ભેટ પેટે સ્વીકારી 19,491 વ્યક્તિઓે સહયોગ આપેલ. આ ધજા જે તે વર્ષે વિશ્વની મોટામાં મોટી ધજા સાબિત થઈ હતી, સમગ્ર ભારતમાં માત્ર એક જ એવી ધજા છે જે અંબાજી મુકામે અંબાજી મંદિરમાં પૂજાય છે.