અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ ઝોનના રહેવાસીઓ માટે અગત્યના સમાચાર છે. 5 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ સાંજના સમયે મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહેશે. કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં સમારકામના કામને કારણે આ શટડાઉન લેવામાં આવ્યું છે. 6 ડિસેમ્બર શનિવારથી રાબેતા મુજબ પાણી પુવઠાનું વિતરણ કરાશે.
AMCના વોટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના લગભગ તમામ વિસ્તારોમાં શુક્રવારે સાંજે પાણી નહીં મળે. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં વાસણા, પાલડી,નવરંગપુરા, આશ્રમરોડ વિસ્તાર,નારણપુરા, ન્યૂ રાણીપ,ચાંદખેડા, સાબરમતી વિસ્તારનો સમાવેશ થાય છે. માત્ર રાણીપ, બલોલનગર, અને નવા વાડજ આ વિસ્તારમાં સાંજે જ પાણીનો પુરવઠો મળી રહેશે.
કોતરપુર વોટર વર્ક્સથી આવતી મુખ્ય પાઈપલાઈનમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ નજીક (R.T.O. સર્કલ તરફ) જેલ વિભાગના પરિસરમાં આવેલી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં થયેલું લીકેજ રીપેર કરવું. મોટેરા ચાર રસ્તા પાસે આવેલા આકાશ દર્શન વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ફીડર લાઇનને 1300 મીમી વ્યાસની હયાત લાઇન સાથે જોડવાની અને ઇનસાઇડ પ્લેટ કટિંગની કામગીરી હાથ ધરાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, તા. 6 ડિસેમ્બર (શનિવાર) ના રોજ સવારનો અને સાંજનો પાણી પુરવઠો પાઇપલાઇનમાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. એટલે કે, પાણી સામાન્ય દિવસો જેટલું નહીં પણ મર્યાદિત માત્રામાં મળવાની શક્યતા છે.નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ 5 ડિસેમ્બરના સાંજના પાણીકાપને ધ્યાનમાં રાખીને અગાઉથી જ પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવો.


