સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ પીએમ મોદી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટથી બેઠક પૂર્ણ કરીને હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે આવ્યાં હતાં. દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોએ પીએમ મોદીનું અભિવાદન પણ કર્યું હતું. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. પીએમ મોદીએ અહીં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
સોમનાથ ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ડ્રોન શૉ યોજાયો, આ ડ્રોન શોની અદ્ભૂત તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા હતાં. અત્રે નોંધનીય છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદરી પરિસરમાં ડભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોવા મળ્યાં હતાં.
આજે રાત્રે સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં વિશ્રામ કર્યા બાદ, આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ દાદાના વિશેષ પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ અનેક લોકકલ્યાણના પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોમાં હાજરી આપશે.સોમનાથ નગરીમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. ઠેર-ઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથે આ ‘સ્વાભિમાન પર્વ’ સુવર્ણ અક્ષરે લખાશે.


