ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ સૂચના ખાસ કરીને એવા વાહનચાલકો માટે છે જેમના વાહનોમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ લગાવેલ હોય. સામાન્ય વાહનચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની હેડલાઇટથી વાહનચાલકોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ RTOને આ મુદ્દે સૂચના આપી દેવાઈ છે અને આ અંગે કોઈપણ ફરિયાદ મળતા જ તેના પગલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.વિભાગે રાજ્યની તમામ આરટીઓ કચેરીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ચેકિંગ દરમિયાન જે વાહનોમાં નિયમ વિરુદ્ધની ડેઝલિંગ લાઈટ્સ જોવા મળે, તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ખાસ કરીને એ વાહનચાલકો માટે આ મહત્વપૂર્ણ છે જેમના વાહનમાં અતિ તેજસ્વી સફેદ હેડલાઇટ્સ લાગેલા હોય.

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ માર્ગ સુરક્ષા છે. રાત્રિના સમયે ડ્રાઈવિંગ કરતી વખતે સામેથી આવતા વાહનની અતિ તીવ્ર સફેદ લાઈટને કારણે ચાલકની આંખો અંજાઈ જાય છે, આના કારણે ડ્રાઈવર સામેનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકતો નથી અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે. ઘણા કિસ્સાઓમાં આવી લાઈટ્સ જીવલેણ સાબિત થઈ છે. તેથી, હવે ‘નાઈટ ડ્રાઈવિંગ’ સુરક્ષિત બનાવવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
માત્ર ચેતવણી આપીને છોડવામાં નહીં આવે, પરંતુ હવે નિયમ તોડનારાઓ સામે કડક પગલાં લેવાશે. આરટીઓ અને ટ્રાફિક પોલીસના ચેકિંગમાં જો કોઈ વાહનમાં નિયત મર્યાદા કરતા વધુ તીવ્રતાવાળી અથવા આફ્ટર માર્કેટ વાઈટ લાઈટ જોવા મળશે, તો વાહનચાલકને મેમો ફટકારવામાં આવશે. એટલું જ નહીં, આવી લાઈટોને સ્થળ પર જ જપ્ત કરવાની અથવા ઉતરાવી લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) મુજબ હેડલાઈટના ચોક્કસ માપદંડો છે, જેનો ભંગ કરવો એ ગુનો બને છે.


