અમદાવાદ : 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમારે બેંક અથવા સરકારી ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને પહેલા જ પુરું કરી લેવું વધુ યોગ્ય રહેશે. આ હડતાળ લગભગ 10 મોટા ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં AITUC, CITU, HMS અને સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.12મીએ હડતાળ પહેલા 11 ફેબ્રુઆરીએ આશ્રમ રોડ પર બેન્ક એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયનનો રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC એ 12 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.આ હડતાળ પાછળ ઘણા કારણો છે. ટ્રેડ યુનિયનો સરકારના નવા મજૂર કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે
ચાર નવા મજૂર કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો કેટલાક વેપાર કરારોને ખેડૂત હિતોના વિરુદ્ધ ગણાવી રહ્યા છે. ઉપરાંત, વધતી મોંઘવારી, બેરોજગારી, મનરેગા બજેટમાં ઘટાડો અને જૂની પેન્શન યોજના (OPS) ફરી શરૂ કરવાની માંગ પણ આ હડતાળના મુખ્ય મુદ્દાઓ છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધ અને બેંકોમાં 5 દિવસના સપ્તાહની માંગ પણ કરવામાં આવી રહી છે.
AIBEA, AIBOA અને BEFI જેવા ઘણા મોટા બેંક કર્મચારી સંગઠનોએ હડતાળને ટેકો આપ્યો છે. જોકે 12 ફેબ્રુઆરીએ બેંકો સંપૂર્ણ રીતે બંધ નહીં રહે, પરંતુ કેટલીક સેવાઓ પર અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ અને કાઉન્ટર સર્વિસમાં વિલંબ થઈ શકે છે, જ્યારે ઓનલાઈન અને નેટ બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
હડતાળને કારણે કેટલાક રાજ્યોમાં બસ અને ટ્રક સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે મુસાફરીમાં વિલંબ થઈ શકે છે. મોટાભાગના બજારો અને દુકાનો ખુલ્લા રહેવાની શક્યતા છે અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને ફાર્મસીઓ જેવી કટોકટી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. તેથી, જો કોઈ તાત્કાલિક બેંકિંગ કામ હોય, તો તેને એક દિવસ પહેલા પૂર્ણ કરવું વધુ યોગ્ય રહેશે.


