અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ 15 થી વધુ હાઉસિંગ કોલોનીઓ (સોસાયટીઓ)ના રીડેવલપમેન્ટ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં બોર્ડે રીડેવલપમેન્ટ પોલિસીનો કોઈ અમલ કર્યો જ ન હોવાનો અને અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ કામગીરીમાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં બિલ્ડરોના લાભાર્થે ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ટેન્ડરો ચાલુ રાખતા હોવાની ફરિયાદો બાદ હાઉસિંગ બોર્ડ લાલ આંખ કરે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.
રહીશોની ફરિયાદ મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ પોલીસી બિલ્ડરોની મનમાની પ્રમાણે ચાલે છે અને બિલ્ડરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં બિલ્ડરના લાભાર્થે પ્રોજેકટ લોનની મંજુરી આપવામાં આવી છે, છતાં એક વાર ટેન્ડર બાદ ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી.બિલ્ડર દ્વારા સમય મર્યાદામાં કામ નહીં કરતા હોવાને કારણે સોસાયટીના સભ્યો હેરાનગતિ ભોગવી રહ્યા છે.
નવા વાડજમાં વિશ્રામ પાર્ક, હરિઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ, નંદનવન એપાર્ટમેન્ટ, જયારે નારણપુરામાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, 84-નિધિ એપાર્ટમેન્ટ, નિર્મલ એપાર્ટમેન્ટ, ગણેશ, શ્રીનગર કે શિવાલય એપાર્ટમેન્ટ સહિત અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં કોઈ ડેવલપમેન્ટ નથી,નિયમ મુજબ ચોક્કસ નિયત સમય મર્યાદા હોવા છતા લાંબા સમયથી ટેન્ડર ચાલુ હોવા છતા કોઈ પ્રોગ્રેસ નહિ હોવાથી આગામી સમયમાં હાઉસિંગ બોર્ડ ટેન્ડર કેન્સલ કરે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.
એક ચર્ચા મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 135 થી વધુ કોલોનીઓ (સોસાયટીઓ)ના ટેન્ડરો બહાર પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ અમદાવાદની 50 થી વધુ સોસાયટીઓમાં રીરડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી છે.15 થી 20 જેટલી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે ટેન્ડરો કેન્સલ થાય એ પહેલા ડેવલપરો સાથે તાજેતરમાં મિટીંગ યોજવામાં આવી હતી.
આ અગાઉ હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓમાં સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.જાે કે નિયમ મુજબ 75 ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે તેમ છતાંય હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓના સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.ત્યારે પણ ભારે ઉહાપોંહ મચી ગયો હતો.


