અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા સહિતના વિસ્તારોમાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં તેજી જાેવા મળી રહી છે. શહેરના વિકાસ નકશામાં હવે માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ વિસ્તારની હાઉસીંગ બોર્ડની કોલોનીઓમાં પણ રહેવાસીઓ સામે ચાલીને રીડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યા છે. વર્ષો જૂની ઈમારતો અને પાયાની સુવિધાઓના અભાવે આ વિસ્તારોમાં જાગૃતિનો મોટો જુવાળ જાેવા મળ્યો છે.
અમદાવાદની મોટાભાગની હાઉસીંગ બોર્ડની સોસાયટીઓ 40 થી 45 વર્ષ જેટલી જૂની થઈ ચૂકી છે. હાલમાં આ વસાહતોમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. આ ઉપરાંત રોડ, લાઈટ અને પાણીની લાઇનો જૂની થવાથી અવારનવાર મુશ્કેલીઓ સર્જાય છે. વળી પાર્કિંગની સમસ્યા વિકરાળ બની રહી છે. આ તમામ પ્રશ્નોના કાયમી ઉકેલ તરીકે હવે રહીશો રીડેવલપમેન્ટને એકમાત્ર વિકલ્પ માની રહ્યા છે.જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટ જાેડાવવા તલપાપડ હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાની વાત કરીએ તો અમદાવાદમાં સોનલ પાર્ક કોલોની, સત્યમ કોલોની, ગોપાલ કોલોની, વિશાલ કોલોની, બાલકૃષ્ણ કોલોની એમ કુલ-5 કોલોનીના ટ્રાય પાર્ટી થયેલ છે.આ ઉપરાંત સનસાઇન કોલોની, નેહરુનગર કોલોની, વંદનપાર્ક કોલોની, અમી કોલોની, રૂપલ પાર્ક કોલોની, આનદ કોલોની એમ કુલ-6 કોલોનીના સંમતિની પ્રકિયા હેઠળ છે.
રીડેવલપમેન્ટના ક્ષેત્રમાં નારણપુરા વિસ્તાર અત્યારે કેન્દ્રસ્થાને છે. સાત વર્ષ જૂના ટેન્ડર ધરાવતા નિધિ-84 (નિધિ એપાર્ટમેન્ટ) માં નોટરાઇઝડ સંમતિ જમા કરાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ સાથે જ ગીતાંજલી એપાર્ટમેન્ટમાં માત્ર એક જ દિવસમાં 75% સંમતિની પ્રક્રિયા પૂરી કરીને રહેવાસીઓએ રીડેવલપમેન્ટ પ્રત્યે પોતાની મક્કમતા દર્શાવી છે.
બીજી તરફ, નવા વાડજ અને અખબારનગર આસપાસની સોસાયટીઓમાં પણ સેન્સ પ્રક્રિયા તેજ બની છે. શિવમ એપાર્ટમેન્ટ અને આનંદનગર એપાર્ટમેન્ટના રહીશો પણ હવે જર્જરિત બાંધકામથી છુટકારો મેળવવા રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.


