અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે કેટલાક ગેરકાયદેસર તત્વો અને ઠગ ટોળકીઓ સક્રિય બની પ્રોજેક્ટોને અટકાવવાના પ્રયાસો કરી રહી છે. આ પ્રવૃત્તિઓને કારણે બિલ્ડરો, સોસાયટીના હોદેદારો તેમજ રહેવાસીઓમાં અશાંતિ ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, આવી ટોળકીઓ વિવિધ રીતે દબાણ અને અવરોધ ઉભા કરે છે. આરટીઆઈ અરજી કરીને માહિતી મેળવ્યા બાદ બિલ્ડરોને ફોન કરી બ્લેકમેઈલ કરવાની ચર્ચાઓ ઉઠી છે. સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ માહિતી એકત્ર કરી મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં વારંવાર ફરિયાદો દાખલ કરવામાં આવે છે.
રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ હોય તેવા વિસ્તારોમાં ટોળકીઓ સોસાયટીના કેટલાક અસંતુષ્ટ સભ્યોને ગેરમાર્ગે દોરી નાના-મોટા પ્રશ્નોને મોટું રૂપ આપે છે. લોકોમાં ટેન્ડર પ્રક્રિયા અંગે અણસમજ અને ગેરસમજ ફેલાવી “પોઝિટિવ” અને “નેગેટિવ” ટેન્ડરની અધૂરી માહિતી દ્વારા સભ્યોને ઉશ્કેરવાના પ્રયાસો પણ નોંધાયા છે.
સામાજિક માધ્યમો, ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ દ્વારા ખોટી માહિતી ફેલાવીને પ્રચાર કરવો અને અસંતોષ ઊભો કરવો પણ આ પ્રવૃત્તિનો એક ભાગ હોવાનું કહેવાય છે. કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના સભ્યોને કોર્ટમાં જવાની સલાહ આપી પ્રોજેક્ટને કાનૂની અટકમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટી ફરિયાદો નોંધાવવી, ગાંધીનગર સચિવાલયના નામે ધમકી આપવી, તેમજ ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામનો ઉપયોગ કરી દબાણ બનાવવાના બનાવોની પણ ચર્ચા છે.
ચોંકાવનારી વાત એ છે કે કેટલીક ચર્ચાઓ મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડના કેટલાક કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ આવી ટોળકીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાે કે, આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.
આ પરિસ્થિતિને કારણે અનેક સોસાયટીઓના હોદેદારો અને બિલ્ડરો પરેશાન બની રહ્યા છે અને સરકાર તથા સંબંધિત એજન્સીઓ પાસેથી યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
રીડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાં આવી ગેરરીતિઓ શહેરના વિકાસને અસર કરે છે. તંત્ર દ્વારા સચોટ તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાશે તો જ રહેવાસીઓમાં વિશ્વાસ પુન:સ્થાપિત થઈ શકે.
(જાે કોઈ આવી ઠગ ટોળકી દ્વારા સોસાયટીના સભ્ય, હોદ્દેદારો કે બિલ્ડરને કોઈ પણ પરેશાની કરતા હોય તો તમે અમારી હેલ્પલાઇન મો : ૯૯૨૪૦૦૪૭૧૪ પર જણાવી શકો છો)


