અમદાવાદ : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદલોડિયામાં રેલવે સમાંતર 12 મીટરનો રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આજે 8 જૂનના રોજ સવારથી રોડ પરના ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેના પગલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિસ્તારમાં નવા પ્લાન થયેલા રોડના આયોજનમાં અડચણરૂપ બનતા અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે એએમસીની ટીમો જેસીબી (JCB) અને બુલડોઝર સાથે ત્રાટકી હતી.
રિપોર્ટ મુજબ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મહાદેવનગરથી લઈને શક્તિ વિદ્યાલય સુધીના 12 મીટરના રોડને પહોળો કરવા માટે રોડ કપાતમાં આવતા મકાનો દુકાનો સહિતની મિલકતોને તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સવારથી જ મકાનો ખાલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.જેવી કોર્પોરેશનની ટીમે કાચા-પાકા મકાનો અને ગેરકાયદેસર શેડ તોડવાની પ્રક્રિયા શરૂ કરી, કે તુરંત જ સ્થાનિક રહીશો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
વર્ષો જૂના આશરા છીનવાઈ જતાં લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ અને આક્રંદ જોવા મળ્યો હતો.સ્થાનિકોએ ભેગા મળીને તંત્રની આ કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને “પહેલા અમને વૈકલ્પિક મકાન આપો, પછી અમારા ઘર તોડો” તેવા સૂત્રોચ્ચાર કરીને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે/ચાલુ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ઘર તોડી પડાતા અનેક ગરીબ પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને એસઆરપીના જવાનો સ્થળ પર તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત, ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો પણ વોટર બ્રાઉઝર સાથે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહી હતી. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ પોલીસે પ્રદર્શનકારીઓને હટાવીને એએમસીની ટીમને સુરક્ષા પૂરી પાડી હતી, જેના કારણે નવા રોડના માર્ગમાં આવતા તમામ નાના-મોટા દબાણોને સંપૂર્ણપણે દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.


