અમદાવાદ : શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે બે દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. શરૂઆતમાં સામાન્ય મારામારીનો બનાવ લાગતો આ કેસ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હત્યાના ગુનામાં ફેરવાયો હતો.
રિપોર્ટ મુજબ, સોલા સિવિલ હોસ્પિટલ બહારથી અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે સારવાર દરમિયાન અજાણ્યા શખ્સનું મોત થયું હતું. બનાવની જાણ થતા સોલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પીએમ કરાવતા મૃતકને ઇજા થવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું, જેથી સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હત્યાના આરોપી જીતેન્દ્ર રાઠવા, અનિશ પરમાર, વિશાલ પરમારની ધરપકડ કરી છે, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જીતેન્દ્રના પિતા એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મૃતક સોસાયટીના ગેટ પર આવી જીતેન્દ્રના પિતા પાસે પાણી માંગ્યું હતું, જે બાદ કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકને જીતેન્દ્રના પિતા પર ઈંટ વડે હુમલો કર્યો હતો. આ અદાવત રાખીને ચારેય આરોપીઓએ મળીને મૃતકને લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. આરોપીઓએ માર માર્યા બાદ તેને બાઇક પર બેસાડી કેપિટલ રોડ ઉપર આવેલા જૂના ડોગ હાઉસ નજીક ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાંથી જીતેન્દ્ર સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગાંધીનગરના ચિલોડા અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અનિશ પરમાર સામે મારામારી અને ગાળો આપવા બાબતે ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક કોણ છે તેને લઈને પણ વધુ તપાસ શરૂ કરી છે.


