અમદાવાદ: શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં એક હિંસક રૉટવીલર શ્વાને 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.બાળકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ કૂતરાના મહિલા માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતો યુવક તેના 9 વર્ષના પુત્રને લઈ બંગલાનું કામકાજ કરવા ગયો હતો. દીકરાને બંગલાની બહાર બેસાડ્યો હતો. તેનો દીકરો મોબાઈલમાં ગેમ રમતો હતો. થોડાવારમાં કોઈને આવીને તેમના દીકરાને કૂતરું કરડ્યું હોવાની જાણ કરી હતી. તેમણે બહાર આવીને જોયું તો દીકરાના માથાના ભાગેથી લોહી નીકળતું હતું અને આંખ નજીક પણ નખ વાગ્યાના નિશાન હતા.જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો.
તપાસ કરતાં આ કૂતરું સોસાયટીમાં રહેતા એક મહિલાનું હોવાનું અને છૂટું મૂક્યાનું જાણવા મળ્યું હતું. ઘટના બાદ સોસાયટીના લોકોએ જણાવ્યું કે, મહિલા તેના કૂતરાને ખુલ્લું રાખતી હતી. તેમજ ગાર્ડનમાં પણ લઈ જતા હતા, જેના કારણે બાળકો ગભરાતા હતા. એક વખત અચાનક કૂતરું ભસતા એક મહિલા બાંકડા પરથી પડી ગયા હતા અને હાથમાં ઈજા પહોંચી હતી.
AMCમાં ડોગનું ગત વર્ષે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે રજીસ્ટ્રેશન રીન્યુ કરાવ્યું નહોતું છેલ્લા 25 દિવસથી ડોગ રજીસ્ટ્રેશન વિના ફરી રહ્યું હતું. ગઈકાલે (9 જૂન) ઘટના બન્યા બાદ સાંજના સમયે આરોપી મહિલાએ ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ મહિલા પણ સોસાયટીમાં છે અને ભોગ બનનાર બાળક અને તેના પિતા પણ સોસાયટીમાં જ છે.
ડોગ માલિક સામે BNS કલમ 291 અને 118 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 291 હેઠળ 6 મહિના સુધીની કેદ અને 5 હજારનો દંડ થઈ શકે છે. જ્યારે 118 હેઠળ ત્રણ વર્ષની કેદ અને 20 હજાર સુધીના દંડની જોગવાઈ છે.
આ અગાઉ પણ શહેરમાં રખડતા અને પાળેલા શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાએ પાળેલા શ્વાનના માલિકોની જવાબદારી સામે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.


