અમદાવાદ : ગુજરાતભરમાં ભાદરવી પૂનમના પાવન પર્વને લઈને મા અંબાના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચે છે. ઠંડી, ગરમી કે દિવસ-રાતની પરવા કર્યા વિના ભક્તો પોતાની માનતા અને મનોકામના સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પદયાત્રા કરે છે.
દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી તરફ પગપાળા સંઘોના પ્રસ્થાનનો પ્રારંભ થાય છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જુનામાં જુના પગપાળા સંઘોમાં સ્થાન ધરાવતા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા આ વર્ષે સતત ૩૩મા વર્ષે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાસવાડી પગપાળા સંઘ પદયાત્રીઓ અને બાવન ગજની પવિત્ર ધજા સાથે આદ્યશક્તિ મા અંબાની આરાધના કરવા માટે આગામી તા. 11 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યે નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે.
સંઘ દ્વારા અંબાજી પહોંચ્યા બાદ તા. 19 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ સવારે 7 વાગ્યે અંબાજી ખાતે શિખર ઉપર બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવશે.
પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે સંઘ દ્વારા ધજાપૂજનનો કાર્યક્રમ તા. 10 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે યોજવામાં આવ્યો છે. આ પાવન પ્રસંગે તમામ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધજાપૂજનનો લાભ લેવા માટે સંઘ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.
સંઘ દ્વારા એવી પણ અપીલ કરવામાં આવી છે કે, સંજોગોવશાત જે ભક્તો અંબાજી સુધીની સંપૂર્ણ પદયાત્રા કરી શકતા ન હોય તેઓ પણ સપરિવાર પવિત્ર બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન રથને વિદાય આપવા પૂરક પદયાત્રામાં જોડાઈ શકે છે.
આ પૂરક પદયાત્રા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી શરૂ થઈ રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી, સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી થઈ નીલ કોમ્પલેક્ષ સુધી પહોંચશે.
નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા શહેરના તમામ ભાવિક ભક્તોને આ પાવન પદયાત્રા અને વિદાય કાર્યક્રમમાં સહભાગી બની મા અંબાના આશીર્વાદ મેળવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મા અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે… જય અંબે!


