અમદાવાદ : IPL 2023ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં લીગની 7 મેચ રમાશે. રિપોર્ટ મુજબ જે દિવસોએ મેચ રાત્રે 7.30થી શરૂ થશે એ દિવસોએ દર્શકોને ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવા રાત્રે 1.30 વાગ્યા સુધી શરૂ રહેશે.
પ્રથમ મેચ માટે લોકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 કલાકે ગેટ ખુલી જશે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝ દ્વારા સ્ટેડિયમના ગેટ નંબર-1 અને ગેટ નંબર-2 પર ફેન ઝોન્સ ઊભા કરવામાં આવશે, જે દરેક વયના દર્શકો માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. દિવ્યાંગ દર્શકોના પ્રવેશની વ્યવસ્થા ગેટ નંબર-2 પરથી કરાઈ છે. જોકે, તેમણે સાથે વ્હિલચેર સાથે લાવવાની રહેશે.
સ્ટેડિયમ સંકુલમાં વાહનોની પાર્કિંગની સમસ્યા ના થાય તે માટે 20 સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે show my parking એપ પરથી પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ મેળવી શકાશે. આ પાર્કિંગના સ્થળોએથી (જે દૂર હોય ત્યાંથી) દર્શકોને સ્ટેડિયમ સુધી પહોંચાડવા ગુજરાત ટાઈટન્સે નિઃશુલ્ક શટલ સેવા ગોઠવી છે.