અમદાવાદ : શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભ દિને પરંપરાગતરીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. વૈશાખ અડધો પૂર્ણ થવા આવ્યો છે. એટલે અષાઢી બીજના પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મળતા રિપોર્ટ મુજબ રથયાત્રા દરમિયાન પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરની પોલીસે દોઢેક મહિના પહેલાથી કામગીરી જ શરૂ કરી દીધી છે. એકાદ બે દિવસ બાદથી શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જોઇન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મોટી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાશે. જેમાં ખાડિયા, કાલુપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઝોન-3 ડીસીપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલાં IPL મેચ હોવાથી પોલીસ તમામ જગ્યાએ કચાશ રાખવા માગતી નથી. IPL ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ રહી છે, જે માટે પણ અમદાવાદ પોલીસની સેક્ટર-1ની અને તેમાંય ખાસ ઝોન-2ની પોલીસ બંદોબસ્તમાં રાખવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી રથયાત્રાનું તમામ પ્રકારનું કાગળ પરનું પ્લાનીંગ કરી દેવાયું છે. પોલીસે શાહપુર, ગાયકવાડ હવેલી, કારંજ, દરિયાપુર, ખાડિયા એવા રૂટ પરના રોડ પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.


