અમદાવાદ : વેકેશનનો સમય હોવાથી ઘરફોડના બનાવો વધી રહ્યાં છે. રાતના સમયે થતી ચોરીઓ વધુ પ્રમાણમાં થતાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. ત્યારે અમદાવાદના નારણપુરામાં રહેતા ડોક્ટર પરિવાર સાથે ભૂતાન ફરવા માટે ગયાં અને ચોરોએ તેમના ઘરમાંથી સોનાના દાગીના, રોકડા રૂપિયા તથા કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ડોક્ટરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં રૂ.12.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ડોક્ટર તેમની પત્ની અને દીકરી સાથે ભૂતાનના પ્રવાસે ગયા હતાં. તેઓ ઘરે પરત ફરતાં તેમના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તેમના ઘરમાં રસોડાના દરવાજાનું લોક પણ તૂટેલી હાલતમાં હતું. તેમના બેડરૂમનો સરસામાન પણ વેરવિખેર પડ્યો હતો. જેથી તેમને ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમના કબાટમાંથી સોનાના દાગીના, બે લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી.
તે ઉપરાંત તેમના હોમ થીયેટર વાળા રૂમમાંથી હોમ ઓટોમેશન કંટ્રોલર યુનિટ, યુનિફાઈ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ યુનિટ, રાઉટર, કોમ્યુનિકેશન ગેટ વે યુનિટ, સ્પીલટર યુનિટ, ટાટા સ્કાયનું સેટ અપ બોક્સ, મીડિયા પ્લેયર સહિત કુલ 12.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયુ હતું. તેમણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.