અમદાવાદ : અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે જૂની અદાવતને પગલે એક યુવક પર હથિયારોથી જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવાના કેસમાં રાણીપ પોલીસ અને ઝોન-2 એલસીબીની ટીમે કાર્યવાહી કરી આરોપીઓને છત્રાલ જીઆઈડીસીના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, ગત શનિવારની મોડી રાત્રે રાણીપના સુભાષબ્રિજ સર્કલ નજીક આવેલા ટ્રાફિક બુથની આગળ જાહેર રોડ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર RJ-27GF-3975માં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વી પર પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના શરીરના પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઉપરાછાપરી ઘા કરવામાં આવ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વીનું મોત થતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 103(1), 189(2), 189(4), 190, 191(2), 61(2), 54 અને 3(5) હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.હત્યા બાદ આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, પોલીસે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં નાકાબંધી કરી પ્રાંતિજ તથા અડાલજ ટોલ નાકા પર ખાસ વોચ ગોઠવી હતી.
સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે છત્રાલ GIDC ના એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી હત્યામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ ગુનામાં વપરાયેલા પીકઅપ ડાલો અને હથિયારો મળી આવ્યા હતા.
પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.


