અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હાઉસીંગ બોર્ડ દ્વારા સૌથી વધુ જર્જરીત સોસાયટીઓને અગ્રતા આપવી જોઈએ.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપર જણાવ્યા મુજબ અત્યાર સુધી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે જયારે વધુ સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ છે.પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આમાંથી સૌથી વધુ જર્જરીત સોસાયટીઓ કેટલી ? જેમાં રહીશોના જીવ જોખમમાં હોઈ શકે ? અત્યાર સુધી જે સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે એ MIG કે HIG ગ્રુપની છે, (અહી અમો તેમને જણાવી દઈએ કે આ પ્રકારની સોસાયટીઓમાં રિડેવલમેન્ટના કાર્યમાં અમારો વિરોધ નથી, અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સાથે સાથે ખૂબ જર્જરીત છે એવી સોસાયટીઓનું રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થવું જોઈએ) જયારે મુખ્યત્વે ખુબ જ જર્જરીત સોસાયટીઓ એવી નારણપુરાના હરીઓમનગર, ગણેશ, શિવાલય કે શ્રીનગર સોસાયટીઓ કે જે LIG કે MLIG ગ્રુપની છે. આવી અનેક સોસાયટીઓના મકાન ખૂબ જુના હોવાને કારણે ખુબ જર્જરીત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, સ્થાનિકો જીવના જોખમે વસી રહ્યાં છે.
સ્થાનિકોની ફરિયાદ મુજબ તેઓ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે પરંતુ દરેક સોસાયટીઓમાં અલગ અલગ પ્રશ્નોને કારણે રિડેવલમેન્ટ અટકી રહ્યું છે, કયાંક કાગળો પુરતા નથી, કયાંક પૈસા ભરવાના બાકી છે, કયાંક વધારાના બાંધકામો નડી રહ્યા છે, તો કયાંક દસ્તાવેજ ન હોવાને કારણે સહિત અનેક પ્રશ્નોને કારણે આ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કામ શરૂ થઈ શક્યું નથી.ત્યારે સ્થાનિક આગેવાન બિપીનભાઈ પટેલે માગણી કરતા જણાવ્યું છે કે નવા વાડજમાં હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગન વિહાર એપાર્ટમેન્ટની જેમ જ આ પ્રકારના LIG, MLIG કે EWS જેવા ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હાઉસીંગ બોર્ડ દ્વારા આવી હાઉસીંગ સોસાયટીઓના સીધા ટેન્ડર પાડી રિડેવલમેન્ટનું કામને સૌથી વધુ અગ્રતા આપી ઝડપી બનાવવુું જોઈએ.
અહીં અમો તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવા વાડજની સૌથી વધુ જર્જરીત એવી હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપારમેન્ટના સીધા ટેન્ડર પાડી જે કુનેહ બતાવી છે, જેને લઈને આગામી દિવસોમાં રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થશે એવી આશા અમો સેવી રહ્યા છે, જેના માટે મિર્ચી ન્યૂઝ પરિવાર ગુજરાત હાઉસીંગ બોર્ડનો આભાર વ્યક્ત કરે છે.


