અમદાવાદ : ગુજરાત રાજ્યમાં હોસ્પિટલ સંચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના માંડલ અંધાપાકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી થઈ છે. આ દરમિયાન એડવોકેટ જનરલનું કોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો થશે. આ સાથે કહ્યું હતું કે, ચેરિટેબલ ટ્રસ્ટ કે NGOના મેડિકલ કેમ્પનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા છે. નોંધનિય છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે.
મળતા રિપોર્ટ મુજબ માંડલ ‘વિરમગામ અંધાપાકાંડ’ મામલે આજે હાઈકોર્ટમાં સુઓમોટો હાથ ધરવામાં આવી હતી, જેમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 50 કે એનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું. પરંતુ, હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સાથે જ ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ (NGO) તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, આગામી સમયમાં ‘આંધાપાકાંડ’ જેવી ઘટનાઓ ફરી ના બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે.
બીજી તરફ કોર્ટે પોતાના સૂચનો રજૂ કરતા કહ્યું કે, હાલના નિયમ અને જોગવાઈ નખ વગરના વાઘ જેવા છે. સરકાર સુધારાત્મક પગલાં લે એ આવકાર છે. પરંતુ, આવા બનાવોમાં સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી છે. કારણ કે, આવી ઘટનાઓમાં ડોક્ટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશક્ય છે. કોર્ટે આગળ કહ્યું કે, ડોક્ટર્સ જો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ કરવું પણ આવશ્યક છે. કોર્ટમાં જિલ્લા કક્ષાએ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની અછતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટે કોર્ટ મિત્રને સરકારના સોગંદનામાં પર પોતાના સૂચનો રજૂ કરવા સમય આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 22 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના વિરમગામના માંડલ ખાતે અંધાપાકાંડનો મામલો સામે આવ્યો હતો. ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. આ મામલો સામે આવતા માંડલ પોલીસે હોસ્પિટલના ડોક્ટર સહિત 11 લોકો સામે ગુનો નોંધ્યો હતો. માહિતી મુજબ, IPC કલમ 337, 338, 114 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ HCના આદેશ બાદ સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.