અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદના ચંડોળા તેમજ દ્વારકા સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ હવે સરખેજ વિસ્તારોમાં પણ સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક દબાણોને તંત્રએ બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દીધા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સરખેજથી વિશાલા સુધી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા સુધીના રોડ ઉપર આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ ઉપર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરગાહ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનોને રાત્રે દૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેશનલ હાઇ-વે ઓથોરિટી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા શહેર પોલીસ વિભાગના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મોડી રાત્રે સરખેજથી જુહાપુરા થઈને વિશાલા સુધીના રોડ ઉપર બનનારા એલિવેટેડ કોરિડોરના રોડ ઉપર ધાર્મિક સ્થાનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 4 દરગાહ, 1 કબ્રસ્તાન, 1 મંદિર અને 1 નાની દેરીને રોડ પરથી દૂર કરવામાં આવી છે.
દબાણ દૂર કરતી વખતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ કાર્યવાહીના પગલે કેટલાંક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓએ આ વિશે યોગ્ય સૂચના આપી હતી અને કાનૂની જોગવાઈના આધારે મામલો થાળે પાડી કામગીરી પૂર્ણ કરવામાં આવી.