અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂલ દ્વારા શિક્ષકોના નામે સંચાલક દ્વારા બારોબાર આત્મનિર્ભર લોન લઈ લેવાતા ફરિયાદ કરાઈ છે. શિક્ષકોના નામે લોન લેવા મામલે શિક્ષકે વિરોધ કરાતા સંચાલકે શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. ત્યારે વિનોદ ચાવડા નામના શિક્ષકને સ્કૂલમાંથી કાઢી મુકાતા તેમણે CMOમાં ફરિયાદ કરી છે. ત્યારે શિક્ષક વિનોદ ચાવડાની ફરિયાદ મામલે CM તરફથી તપાસના આદેશ અપાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ CMOમાં ફરિયાદ કરાતા સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટ વિરુદ્ધ શિક્ષકોના નામે આત્મનિર્ભર લોન લેવા મામલે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન સ્કૂલ દ્વારા શિક્ષકોને પગાર ના ચૂકવવો, તેમજ ભૂતકાળમાં ફી મામલે મનમાની કરાતી હોવાની અનેક ફરિયાદો ત્રિપદા સ્કૂલ સામે થતી રહી છે.
શિક્ષક વિનોદ ચાવડાએ સ્કૂલના કૌભાંડ મામલે કહ્યુ કે, જે લોન માટે રાજ્યભરમાં લાઈનો લાગતી હતી તે લોન અમને સરળતાથી માત્ર 4 દિવસમાં જ મળી ગઈ. અમને આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારો પગાર કરવા માટે લોન લેવાની જરૂર છે. અમારી પાસેથી કોરા ચેક પર સહી કરાવી લેવાઇ હતી, ખાતામાં લોનના રૂપિયા આવ્યા એટલે એ રકમ શાળાએ કાઢી લીધી હતી, આ લોન અમારી જાણ બહાર લેવામાં આવી હતી.