અમદાવાદ : ભૂતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર જગ્યાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફિસ પાસે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં બૉમ્બ મૂકી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે, જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જાહેરનામા મુજબ સાઈકલ, બેટરીથી ચાલતા ટૂ વ્હીલર જેવા વાહનો વેચતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. ગ્રાહકએ કોઈપણ એક આધાર પુરાવો જેવો કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ આપવાનું રહેશે. બિલમાં ખરીદનારનું પુરૂ નામ- સરનામું અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. બિલમાં સાયકલ/ સ્કૂટરની ફ્રેમ નંબર પણ લખવા પડશે.
આ સિવાય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, અમદાવાદમાં મોબાઈલ સિમ કાર્ડની ખરીદી પર લીગલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અસામાજિક તત્વો સિમકાર્ડનો ઉપયોગ નાણાકીય સાયબર ક્રાઈમમાં કરે છે, જેના કારણે ગુનાખોરો નકલી ડોક્યુમેન્ટ આપી સાઈબર ક્રાઈમ આચરતા આ નિર્ણય લેવાયો છે.